મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતી નિમિત્તે યોજાયેલી ભવ્ય કળશ યાત્રાને આવકારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાને ભવ્ય રીતે આવકારવામાં આવી હતી. કાશીથી કર્ણાવતી સુધીની કળશ યાત્રાના જગન્નાથજી મંદિરે આગમન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.કળશ યાત્રાના જગન્નાથજી મંદિર ખાતે આગમન પ્રસંગે કળશ યાત્રામાં પધારેલા સાધુ-સંતોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સહિતના મહાનુભાવો તથા સાધુ સંતોના હસ્તે કળશ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્ત્રી સાથે સૌ મહાનુભાવોએ પદયાત્રામાં સહભાગી થઈને જગન્નાથજી મંદિર સુધી પ્રયાણ કર્યું હતું. જગન્નાથ મંદિરે પહોંચીને કળશ યાત્રાએ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોના હસ્તે કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષએ પૂજ્ય સાધુ-સંતોના આશીર્વચન મેળવ્યા હતા તેમજ શ્રી જગન્નાથજી મંદિરમાં મહાઆરતીનો લાભ લીધો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કળશ યાત્રાને આવકારતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મા પ્રાગટ્ય વર્ષની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. સંત રવિદાસજીએ જાતિભેદ અને સામાજિક પૂર્વાગ્રહો દૂર કરી પ્રેમ, સમાનતા અને સમાન તકો આધારિત ‘બેગમપુરા’ નામના આદર્શ સમાજની કલ્પના કરી હતી. તેમણે જૂનાગઢના સરસઈ ગામે રોકાણ કરીને ગુજરાતની પવિત્ર ધરતી પરથી પણ ભક્તિ, સમરસતા અને માનવતાનો અમર સંદેશો આપ્યો હતો.મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સંત રવિદાસજીના વિચારો આજે વડાપ્રધાનના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર થકી સાકાર થઈ રહ્યા છે, જેના પરિણામે ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. બાહ્ય આડંબરના બદલે પવિત્ર મનનું મહત્વ દર્શાવતા સંતએ ‘મન ચંગા તો કઠોતી મેં ગંગા’નો સંદેશ આપ્યો હતો એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.વડાપ્રધાનના નેતૃત્વમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના ધ્યેય સાથે દરેક સમાજને સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે એમ જણાવીને મુખ્યમંત્રીએ વડાપ્રધાનના માર્ગદર્શનમાં વારાણસીમાં સંત ગુરુ રવિદાસજીની જન્મસ્થળીનો ભવ્ય વિકાસ, સંત રવિદાસ એક્સપ્રેસ અને મધ્યપ્રદેશના સાગરમાં સ્મૃતિ-સંશોધન કેન્દ્ર જેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સૌ નાગરિકો સંત રવિદાસજીના ઉપદેશો અપનાવી ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપે તેવો મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની પવિત્ર માટી ધરાવતી આ કળશ યાત્રા અંબાજી, પાટણ, સિદ્ધપુર, મહેસાણા અને ગાંધીનગર થઈને આજે કર્ણાવતી પહોંચી છે. શ્રી જગન્નાથજી મંદિરમાં કળશ પૂજન અને સ્થાપના કરવામાં આવી છે, જે આગામી સાત દિવસ દર્શનાર્થે રહ્યા બાદ રાજ્યના તમામ જિલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચશે. સંત રવિદાસ મહારાજના ૬૫૦મા જન્મજયંતી વર્ષે જ્ઞાતિ-ધર્મના ભેદભાવ ભૂલી સૌ નાગરિકો અને સાધુ-સંતો ઉત્સાહભેર આ સમરસતા યાત્રાને આવકારી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઇન્દિરા બ્રિજ સર્કલથી પ્રસ્થાન થયેલી ભવ્ય કળશ યાત્રા માર્ગ પરના ૨૬ સ્વાગત પોઇન્ટ્સ પર નાગરિકોના ભવ્ય સ્વાગત વચ્ચે સાંજે જમાલપુર સ્થિત ઐતિહાસિક શ્રી જગન્નાથજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો